Tuesday, May 26, 2026

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ


નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મંત્રાલયના સેન્ટર ફોર WTO સ્ટડીઝ દ્વારા આજે "ઇમ્પેક્ટ ઓફ એન્ટી-ડમ્પિંગ ડ્યુટીઝ ઇન ઇન્ડિયા" (ભારતમાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની અસર) શીર્ષક હેઠળનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો. આ અહેવાલમાં ડાઉનસ્ટ્રીમ ખર્ચ, ફુગાવો, MSME, સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને રોકાણ પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની અસરોને ચકાસવામાં આવી છે. અહેવાલ અનુસાર, સરકાર દ્વારા હાલમાં જે ઉત્પાદનોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે તેના પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવાથી અંદાજે વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા (૩ બિલિયન યુએસ ડોલર) ના વિદેશી હૂંડિયામણની બચત થશે અને ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના સ્થાનિક રોકાણને વેગ મળશે.

વાણિજ્ય મંત્રાલયના સેન્ટર ફોર WTO સ્ટડીઝના વડા શ્રી પ્રીતમ બેનર્જી દ્વારા આ અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો અને ભારતના મુખ્ય સ્થાનિક ઉદ્યોગોના અગ્રણીઓ સાથેની એક ગોળમેજી બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેમિકલ્સ, પોલિમર્સ, ટેક્સટાઈલ અને અન્ય ઉત્પાદન ક્ષેત્રોના ઉદ્યોગ જગતના અગ્રણીઓ એકઠા થયા હતા, જેમની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને ચીન અને અન્ય દેશો દ્વારા કરવામાં આવતા ડમ્પિંગથી ઊંડી અસર પહોંચી છે. આ સ્થાનિક ઉત્પાદકો ૨ લાખ કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવે છે. 

૩૩ ઉત્પાદનોના અભ્યાસ દર્શાવે છે કે હાલના સમયગાળામાં ડમ્પ કરાયેલી આયાતથી થતું આર્થિક નુકસાન આશરે ૧.૫૪ લાખ કરોડ રૂપિયા છે, અને ૨૦૩૦ સુધીમાં તે વધીને ૨.૬૮ લાખ કરોડથી ૨.૭૦ લાખ કરોડ રૂપિયાની વચ્ચે પહોંચવાની સંભાવના છે, જેની સાથે જોખમમાં મુકાયેલી રોજગારી સંખ્યા આશરે ૨૪,૦૦૦ થી વધીને ૩૮,૦૦૦-૪૨,૦૦૦ થઈ શકે છે. આ તારણો આયાત-પ્રેરિત બજારની વિસંગતતાઓને કારણે ભારતના અર્થતંત્ર અને રોજગાર પર થનારી લાંબા ગાળાની અસરો દર્શાવે છે. 

અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું છે કે એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની ડાઉનસ્ટ્રીમ ખર્ચ પર નહિવત અસર થાય છે અને ફુગાવા પર તેની અસર અતિશય ઓછી છે. DGTR (ડીજીટીઆર) દ્વારા ભલામણ કરાયેલા ૫૬ એવા કિસ્સાઓનું વિશ્લેષણ જ્યાં ડ્યુટી લાગુ કરવામાં આવી ન હતી, તે દર્શાવે છે કે અંતિમ ગ્રાહક કિંમતો પર તેની મધ્યમ અસર માત્ર ૦.૦૨૩ ટકા હોત, જેમાં ૯૧ ટકાથી વધુ કિસ્સાઓમાં આ અસર ૦.૧૦ ટકાથી ઓછી હતી. જો એવી ધારણા રાખવામાં આવે કે 50 ટકા બોજો ગ્રાહક પર નાંખવામાં આવશે તો પણ, ૨૧ પેન્ડિંગ એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ઉત્પાદનોનો ફુગાવામાં હિસ્સો ૦.૦૧ ટકાથી ઓછો છે. આ સાબિત કરે છે કે આ ડ્યુટી અંતિમ ગ્રાહકો માટે કિંમતોમાં કોઈ મોટો વધારો કરતી નથી, જ્યારે સ્થાનિક ઉત્પાદકો માટે વાજબી સ્પર્ધા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે. 

અહેવાલમાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ ન કરવાના કારણે MSMEs (નાના ઉદ્યોગો) પર પડતી અપ્રમાણસર અસરો પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. સતત થતી ડમ્પ આયાતને કારણે સબ્લિમેશન-ટ્રાન્સફર પેપર, ફોન બેક કવર અને નાયલોન ફિલામેન્ટ યાર્ન જેવા ક્ષેત્રોમાં પ્લાન્ટ્સ બંધ કરવાની ફરજ પડી છે. 

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ ન થવાથી MSMEs સહિતના સ્થાનિક ઉદ્યોગો પર વિનાશક અસર પડી રહી છે, અને તેનાથી આયાત પરની નિર્ભરતા વધી છે તેમજ સ્થાનિક ઉત્પાદન ક્ષમતાનો નાશ થયો છે. આનાથી વિપરીત, કેબલ ટાઈઝ, સિરામિક વેર અને વેક્યૂમ ફ્લાસ્ક જેવા ક્ષેત્રોમાં સમયસર એન્ટી-ડમ્પિંગ ડ્યુટીના હસ્તક્ષેપને કારણે સ્થાનિક MSMEs ને કામગીરી ચાલુ રાખવા, ઉત્પાદન વધારવા અને નવું રોકાણ આકર્ષવામાં મદદ મળી છે. 

અહેવાલમાં વિશ્લેષણ કરાયેલા આંકડા દર્શાવે છે કે ભારત એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો દુરુપયોગ કરી રહ્યું નથી. તેનાથી ઉલટું, USA અને અન્ય ઘણા દેશો ભારત કરતાં ઘણી મોટી માત્રામાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતમાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો સરેરાશ ગાળો ૬.૯૭ વર્ષ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ ૧૧.૧૯ વર્ષની છે. અમેરિકા અને ચીન જેવા દેશો, જેમણે ૬૩૨% જેટલી ઊંચી ડ્યુટી લાદી છે, તેની સરખામણીમાં ભારતમાં ડ્યુટીના દરો સામાન્ય રીતે ઘણા ઓછા રહે છે. આ પ્રથાઓ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ રહી છે, કારણ કે ભારતની એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની ભલામણો હંમેશા WTOના વિવાદોમાં યોગ્ય ઠરી છે. 

અહેવાલ દર્શાવે છે કે વિદેશી હૂંડિયામણના આઉટફ્લો (વ્યય) ને ઘટાડવાની સાથે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને સુરક્ષિત કરવા માટે, DGTR દ્વારા ભલામણ કરાયેલ એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો તાત્કાલિક અમલ કરવાની જરૂર છે. જે ક્ષેત્રોમાં ભારત પાસે પૂરતી સ્થાનિક ક્ષમતાઓ ઉપલબ્ધ છે, ત્યાં ડમ્પ કરાયેલી આયાતને મંજૂરી આપવી તે ભારતીય અર્થતંત્ર અને રૂપિયા માટે નુકસાનકારક છે. એન્ટી-ડમ્પિંગ ડ્યુટી સમયસર લાગુ કરવાથી આજે સ્થાનિક ક્ષમતાઓમાં પૂરતું રોકાણ સુનિશ્ચિત થશે, ૨૦૩૦ સુધીમાં માંગ અને પુરવઠા વચ્ચેનો મોટો તફાવત અટકાવી શકાશે, આયાતી માલ પર ભારતની નિર્ભરતા ઘટશે, ઔદ્યોગિક સ્થિતિસ્થાપકતા મજબૂત થશે અને ૨૦૪૭ સુધીમાં પ્રધાનમંત્રીના 'વિકસિત ભારત' ના વિઝનને સાકાર કરવામાં યોગદાન મળશે. 

Friday, May 8, 2026

તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વાહનચાલકો અવરજવર માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પડાયું


જામનગર તા.૮મે, આગામી તા.૧૦-૧૧/૦૫/૨૦૨૬ના રોજ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય, આથી જામનગર શહેરના અમુક રૂટ પર કોઈ પણ જાતની અડચણ ઉભી ન થાય તે માટે તમામ પ્રકારના વાહનો માટે તા.૧૦-૧૧ મેના રોજ રસ્તો બંધ કરવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ (૧) સાત રસ્તા સર્કલથી ટાઉન હોલ સર્કલ સુધીનો માર્ગ (૨) તુલસી હોટલથી લાલ બંગલા સર્કલ સુધીનો માર્ગ (૩) તુલસી હોટલથી વિનુ માંકડ સર્કલ સુધીનો માર્ગ (૪) મીગ કોલોનીથી ગવર્મેન્ટ કોલોની પાછળના રોડથી તળાવની પાળ સુધીનો માર્ગ (૫) સુભાષ બ્રીજથી સંતોષી માતાના મંદિર સુધીનો ઓવરબ્રીજ ( આ માર્ગ પર તા.૧૦/૦૫/૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ કલાકથી રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી તથા તા.૧૧/૦૫/૨૦૨૬ના સવારે ૫:૦૦ કલાકથી સવારે ૧૦:૦૦ કલાક સુધી જ પ્રતિબંધ રહેશે.

બંધ કરવામાં આવેલા રસ્તાઓના વૈકલ્પિક રસ્તાઓ તરીકે એસ.ટી.બેસ આવવા માટે રાજકોટ તરફથી આવતી બસો સુભાષ બ્રીજ પાસેના નવા ઓવરબ્રીજ ઉપર થઇ સાત રસ્તા સર્કલથી જુના એસ.ટી. બસ સ્ટેન્ડ, મીગ કોલોની થઇ નવા બસ સ્ટેન્ડ તરફ આવી શકશે. જવા માટેનો માર્ગ જેમાં એસ.ટી. બસ સ્ટેન્ડથી રાજકોટ તથા કાલાવડ તરફ જતી બસો એસ.ટી. બસ સ્ટેન્ડથી મીગ કોલોની થઇ જુના બસ સ્ટેન્ડ, સાત રસ્તા સર્કલના નવા ઓવરબ્રીજ ઉપરથી સુભાષબ્રીજ તરફ જઇ શકશે. 

આ સિવાય અન્ય વાહનચાલકો વૈકલ્પિક રસ્તાઓ તરીકે ૧) સાત રસ્તા સર્કલથી ગુરૂદ્વારા સર્કલ તરફ જઇ શકાશે. ૨) ગુરૂદ્વારા સર્કલથી તુલસી હોટલ તરફ આવતા વાહનો લીમડા લાઇન થઇ તીનબત્તી તરફ જઇ શકશે. ૩) ટાઉન હોલથી લાલ બંગલા સર્કલ તરફ આવતા વાહનો તીનબત્તી થઇ અંબર છત્રી તરફ જઇ શકશે. ૪) બેડી ગેઇટ તરફથી સાત રસ્તા સર્કલ તરફ આવતા વાહનોને ટાઉન હોલથી અપના બજારથી તળાવની પાળથી આશાપુરા હોટલ તરફ જઇ શકશે. ૫) તળાવની પાળ આશાપુરા હોટલથી ટાઉન હોલ સર્કલ તરફ આવતા વાહનો સ્પોર્ટ સંકુલથી ટાઉનહોલ તરફ જઇ શકશે. ૬) સંતોષી માતાના મંદીરથી સુભાષ બ્રીજ સુધીના ઓવરબ્રીજની નીચેથી જઇ શકાશે. (તા.૧૦/૦૫/૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ કલાકથી રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી તથા તા.૧૧/૦૫/૨૦૨૬ના રોજ સવારે ૫:૦૦ કલાકથી ૧૦:૦૦ કલાક સુધી સુભાષ બ્રીજથી સંતોષી માતાના મંદિર સુધીના ઓવરબ્રીજ વાળા માર્ગના પ્રતિબંધની અવેજીમાં આ માર્ગનો ઉપયોગ કરી શકાશે.)

આ જાહેરનામુ ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ તથા અન્ય તાત્કાલિક સારવાર સબંધિત વાહનો, ફાયરબ્રિગેડ તથા અન્ય બચાવ કામગીરીમાં રોકાયેલ વાહનો, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરજ પર રહેલ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તેમજ અન્ય કર્મચારી/ અધિકારીશ્રીઓના વાહનો, વીજ પુરવઠો, પાણી પુરવઠો, ગેસ લીકેજ જેવી સેવાઓમાં જોડાયેલા જરૂરી સેવાઓના વાહનોને જરૂર મુજબ ખરાઈ કરીને મુક્તિ આપવાની રહેશે, પ્રતિબંધિત માર્ગ પર સ્થિત સરકારી વસાહતમાં વસતા અધિકારી, કર્મચારીઓની ખરાઈ કરી મુક્તિ આપવાની રહેશે.

 આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. 

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...