Tuesday, May 26, 2026

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ


નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મંત્રાલયના સેન્ટર ફોર WTO સ્ટડીઝ દ્વારા આજે "ઇમ્પેક્ટ ઓફ એન્ટી-ડમ્પિંગ ડ્યુટીઝ ઇન ઇન્ડિયા" (ભારતમાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની અસર) શીર્ષક હેઠળનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો. આ અહેવાલમાં ડાઉનસ્ટ્રીમ ખર્ચ, ફુગાવો, MSME, સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને રોકાણ પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની અસરોને ચકાસવામાં આવી છે. અહેવાલ અનુસાર, સરકાર દ્વારા હાલમાં જે ઉત્પાદનોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે તેના પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવાથી અંદાજે વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા (૩ બિલિયન યુએસ ડોલર) ના વિદેશી હૂંડિયામણની બચત થશે અને ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના સ્થાનિક રોકાણને વેગ મળશે.

વાણિજ્ય મંત્રાલયના સેન્ટર ફોર WTO સ્ટડીઝના વડા શ્રી પ્રીતમ બેનર્જી દ્વારા આ અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો અને ભારતના મુખ્ય સ્થાનિક ઉદ્યોગોના અગ્રણીઓ સાથેની એક ગોળમેજી બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેમિકલ્સ, પોલિમર્સ, ટેક્સટાઈલ અને અન્ય ઉત્પાદન ક્ષેત્રોના ઉદ્યોગ જગતના અગ્રણીઓ એકઠા થયા હતા, જેમની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને ચીન અને અન્ય દેશો દ્વારા કરવામાં આવતા ડમ્પિંગથી ઊંડી અસર પહોંચી છે. આ સ્થાનિક ઉત્પાદકો ૨ લાખ કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવે છે. 

૩૩ ઉત્પાદનોના અભ્યાસ દર્શાવે છે કે હાલના સમયગાળામાં ડમ્પ કરાયેલી આયાતથી થતું આર્થિક નુકસાન આશરે ૧.૫૪ લાખ કરોડ રૂપિયા છે, અને ૨૦૩૦ સુધીમાં તે વધીને ૨.૬૮ લાખ કરોડથી ૨.૭૦ લાખ કરોડ રૂપિયાની વચ્ચે પહોંચવાની સંભાવના છે, જેની સાથે જોખમમાં મુકાયેલી રોજગારી સંખ્યા આશરે ૨૪,૦૦૦ થી વધીને ૩૮,૦૦૦-૪૨,૦૦૦ થઈ શકે છે. આ તારણો આયાત-પ્રેરિત બજારની વિસંગતતાઓને કારણે ભારતના અર્થતંત્ર અને રોજગાર પર થનારી લાંબા ગાળાની અસરો દર્શાવે છે. 

અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું છે કે એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની ડાઉનસ્ટ્રીમ ખર્ચ પર નહિવત અસર થાય છે અને ફુગાવા પર તેની અસર અતિશય ઓછી છે. DGTR (ડીજીટીઆર) દ્વારા ભલામણ કરાયેલા ૫૬ એવા કિસ્સાઓનું વિશ્લેષણ જ્યાં ડ્યુટી લાગુ કરવામાં આવી ન હતી, તે દર્શાવે છે કે અંતિમ ગ્રાહક કિંમતો પર તેની મધ્યમ અસર માત્ર ૦.૦૨૩ ટકા હોત, જેમાં ૯૧ ટકાથી વધુ કિસ્સાઓમાં આ અસર ૦.૧૦ ટકાથી ઓછી હતી. જો એવી ધારણા રાખવામાં આવે કે 50 ટકા બોજો ગ્રાહક પર નાંખવામાં આવશે તો પણ, ૨૧ પેન્ડિંગ એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ઉત્પાદનોનો ફુગાવામાં હિસ્સો ૦.૦૧ ટકાથી ઓછો છે. આ સાબિત કરે છે કે આ ડ્યુટી અંતિમ ગ્રાહકો માટે કિંમતોમાં કોઈ મોટો વધારો કરતી નથી, જ્યારે સ્થાનિક ઉત્પાદકો માટે વાજબી સ્પર્ધા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે. 

અહેવાલમાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ ન કરવાના કારણે MSMEs (નાના ઉદ્યોગો) પર પડતી અપ્રમાણસર અસરો પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. સતત થતી ડમ્પ આયાતને કારણે સબ્લિમેશન-ટ્રાન્સફર પેપર, ફોન બેક કવર અને નાયલોન ફિલામેન્ટ યાર્ન જેવા ક્ષેત્રોમાં પ્લાન્ટ્સ બંધ કરવાની ફરજ પડી છે. 

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ ન થવાથી MSMEs સહિતના સ્થાનિક ઉદ્યોગો પર વિનાશક અસર પડી રહી છે, અને તેનાથી આયાત પરની નિર્ભરતા વધી છે તેમજ સ્થાનિક ઉત્પાદન ક્ષમતાનો નાશ થયો છે. આનાથી વિપરીત, કેબલ ટાઈઝ, સિરામિક વેર અને વેક્યૂમ ફ્લાસ્ક જેવા ક્ષેત્રોમાં સમયસર એન્ટી-ડમ્પિંગ ડ્યુટીના હસ્તક્ષેપને કારણે સ્થાનિક MSMEs ને કામગીરી ચાલુ રાખવા, ઉત્પાદન વધારવા અને નવું રોકાણ આકર્ષવામાં મદદ મળી છે. 

અહેવાલમાં વિશ્લેષણ કરાયેલા આંકડા દર્શાવે છે કે ભારત એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો દુરુપયોગ કરી રહ્યું નથી. તેનાથી ઉલટું, USA અને અન્ય ઘણા દેશો ભારત કરતાં ઘણી મોટી માત્રામાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતમાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો સરેરાશ ગાળો ૬.૯૭ વર્ષ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ ૧૧.૧૯ વર્ષની છે. અમેરિકા અને ચીન જેવા દેશો, જેમણે ૬૩૨% જેટલી ઊંચી ડ્યુટી લાદી છે, તેની સરખામણીમાં ભારતમાં ડ્યુટીના દરો સામાન્ય રીતે ઘણા ઓછા રહે છે. આ પ્રથાઓ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ રહી છે, કારણ કે ભારતની એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની ભલામણો હંમેશા WTOના વિવાદોમાં યોગ્ય ઠરી છે. 

અહેવાલ દર્શાવે છે કે વિદેશી હૂંડિયામણના આઉટફ્લો (વ્યય) ને ઘટાડવાની સાથે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને સુરક્ષિત કરવા માટે, DGTR દ્વારા ભલામણ કરાયેલ એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો તાત્કાલિક અમલ કરવાની જરૂર છે. જે ક્ષેત્રોમાં ભારત પાસે પૂરતી સ્થાનિક ક્ષમતાઓ ઉપલબ્ધ છે, ત્યાં ડમ્પ કરાયેલી આયાતને મંજૂરી આપવી તે ભારતીય અર્થતંત્ર અને રૂપિયા માટે નુકસાનકારક છે. એન્ટી-ડમ્પિંગ ડ્યુટી સમયસર લાગુ કરવાથી આજે સ્થાનિક ક્ષમતાઓમાં પૂરતું રોકાણ સુનિશ્ચિત થશે, ૨૦૩૦ સુધીમાં માંગ અને પુરવઠા વચ્ચેનો મોટો તફાવત અટકાવી શકાશે, આયાતી માલ પર ભારતની નિર્ભરતા ઘટશે, ઔદ્યોગિક સ્થિતિસ્થાપકતા મજબૂત થશે અને ૨૦૪૭ સુધીમાં પ્રધાનમંત્રીના 'વિકસિત ભારત' ના વિઝનને સાકાર કરવામાં યોગદાન મળશે. 

Friday, May 8, 2026

તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વાહનચાલકો અવરજવર માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પડાયું


જામનગર તા.૮મે, આગામી તા.૧૦-૧૧/૦૫/૨૦૨૬ના રોજ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય, આથી જામનગર શહેરના અમુક રૂટ પર કોઈ પણ જાતની અડચણ ઉભી ન થાય તે માટે તમામ પ્રકારના વાહનો માટે તા.૧૦-૧૧ મેના રોજ રસ્તો બંધ કરવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ (૧) સાત રસ્તા સર્કલથી ટાઉન હોલ સર્કલ સુધીનો માર્ગ (૨) તુલસી હોટલથી લાલ બંગલા સર્કલ સુધીનો માર્ગ (૩) તુલસી હોટલથી વિનુ માંકડ સર્કલ સુધીનો માર્ગ (૪) મીગ કોલોનીથી ગવર્મેન્ટ કોલોની પાછળના રોડથી તળાવની પાળ સુધીનો માર્ગ (૫) સુભાષ બ્રીજથી સંતોષી માતાના મંદિર સુધીનો ઓવરબ્રીજ ( આ માર્ગ પર તા.૧૦/૦૫/૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ કલાકથી રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી તથા તા.૧૧/૦૫/૨૦૨૬ના સવારે ૫:૦૦ કલાકથી સવારે ૧૦:૦૦ કલાક સુધી જ પ્રતિબંધ રહેશે.

બંધ કરવામાં આવેલા રસ્તાઓના વૈકલ્પિક રસ્તાઓ તરીકે એસ.ટી.બેસ આવવા માટે રાજકોટ તરફથી આવતી બસો સુભાષ બ્રીજ પાસેના નવા ઓવરબ્રીજ ઉપર થઇ સાત રસ્તા સર્કલથી જુના એસ.ટી. બસ સ્ટેન્ડ, મીગ કોલોની થઇ નવા બસ સ્ટેન્ડ તરફ આવી શકશે. જવા માટેનો માર્ગ જેમાં એસ.ટી. બસ સ્ટેન્ડથી રાજકોટ તથા કાલાવડ તરફ જતી બસો એસ.ટી. બસ સ્ટેન્ડથી મીગ કોલોની થઇ જુના બસ સ્ટેન્ડ, સાત રસ્તા સર્કલના નવા ઓવરબ્રીજ ઉપરથી સુભાષબ્રીજ તરફ જઇ શકશે. 

આ સિવાય અન્ય વાહનચાલકો વૈકલ્પિક રસ્તાઓ તરીકે ૧) સાત રસ્તા સર્કલથી ગુરૂદ્વારા સર્કલ તરફ જઇ શકાશે. ૨) ગુરૂદ્વારા સર્કલથી તુલસી હોટલ તરફ આવતા વાહનો લીમડા લાઇન થઇ તીનબત્તી તરફ જઇ શકશે. ૩) ટાઉન હોલથી લાલ બંગલા સર્કલ તરફ આવતા વાહનો તીનબત્તી થઇ અંબર છત્રી તરફ જઇ શકશે. ૪) બેડી ગેઇટ તરફથી સાત રસ્તા સર્કલ તરફ આવતા વાહનોને ટાઉન હોલથી અપના બજારથી તળાવની પાળથી આશાપુરા હોટલ તરફ જઇ શકશે. ૫) તળાવની પાળ આશાપુરા હોટલથી ટાઉન હોલ સર્કલ તરફ આવતા વાહનો સ્પોર્ટ સંકુલથી ટાઉનહોલ તરફ જઇ શકશે. ૬) સંતોષી માતાના મંદીરથી સુભાષ બ્રીજ સુધીના ઓવરબ્રીજની નીચેથી જઇ શકાશે. (તા.૧૦/૦૫/૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ કલાકથી રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી તથા તા.૧૧/૦૫/૨૦૨૬ના રોજ સવારે ૫:૦૦ કલાકથી ૧૦:૦૦ કલાક સુધી સુભાષ બ્રીજથી સંતોષી માતાના મંદિર સુધીના ઓવરબ્રીજ વાળા માર્ગના પ્રતિબંધની અવેજીમાં આ માર્ગનો ઉપયોગ કરી શકાશે.)

આ જાહેરનામુ ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ તથા અન્ય તાત્કાલિક સારવાર સબંધિત વાહનો, ફાયરબ્રિગેડ તથા અન્ય બચાવ કામગીરીમાં રોકાયેલ વાહનો, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરજ પર રહેલ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તેમજ અન્ય કર્મચારી/ અધિકારીશ્રીઓના વાહનો, વીજ પુરવઠો, પાણી પુરવઠો, ગેસ લીકેજ જેવી સેવાઓમાં જોડાયેલા જરૂરી સેવાઓના વાહનોને જરૂર મુજબ ખરાઈ કરીને મુક્તિ આપવાની રહેશે, પ્રતિબંધિત માર્ગ પર સ્થિત સરકારી વસાહતમાં વસતા અધિકારી, કર્મચારીઓની ખરાઈ કરી મુક્તિ આપવાની રહેશે.

 આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. 

Wednesday, December 17, 2025

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીરીઝમાં બાકી રહેલા સિલ્વર - ગોલ્ડન નંબર માટે ઈ-ઓકશન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.


જેમાં ઓનલાઈન અરજીનો સમયગાળો ૨૨/૧૨/૨૦૨૫ થી ૨૪/૧૨/૨૦૨૫ બપોરે ૪.૦૦ કલાક સુધી, ઇ-ઓકશન નો બિડિંગ કરવાનો સમયગાળો ૨૪/૧૨/૨૦૨૫ થી ૨૬/૧૨/૨૦૨૫ બપોરે ૪.૦૦ કલાક સુધી તથા ઇ-ઓકશન નું પરિણામ ૨૬/૧૨/૨૦૨૫ બપોરે ૪.૦૦ કલાકે જાહેર થશે. જેની શરતો અને પ્રક્રિયા આ મુજબ છે. 

વાહન માલિકો સો પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાનું રેહશે.ત્યાર બાદ સદર વેબ સાઇડ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-૭ ની અંદર ઓનલાઈન C N A ફોર્મ ભરવાનું રેહશે.

વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રકિયા પૂણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રેહશે.

વાહન માલિક પોતાની બીડ ઉપરોક્ત દર્શાવેલ સમય ગાળા દરમિયાન ૧૦૦૦ના ગૂણાક માં વધારી શકશે.

ઈ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારો એ રિફંડ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી જામનગર નો સંપર્ક કરવાનો રેહશે.

પસંદગીનાં લાગેલ નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચુકવણું ઓનલાઈન દિવસ-૫ (પાંચ)માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીનાં નંબરની ફીનું રિફંડ મળશે નહિ. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Wednesday, November 26, 2025

 

કર્મચારીઓને અચાનક હડતાળ પર જવાનું ભારે પડશે, જાણો ‘લેબર લો’ના નવા નિયમો?

કેન્દ્ર સરકારે હડતાળ અને સામૂહિક રજાના નિયમો કડક બનાવાયા



New Strike Rules: 

કેન્દ્ર સરકારે શ્રમ (લેબર) સાથે જોડાયેલા 29 કાયદાને હટાવી દીધા છે અને તેના બદલે નવા 4 કાયદા ઘડ્યા છે. આ કાયદાઓને કારણે દરેક ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને ઘણા ફાયદા થશે, પરંતુ આ નવા કાયદાઓની સાથોસાથ કર્મચારીઓની ‘હડતાળ’ને લઈને નિયમોને કડક બનાવવામાં આવ્યા છે. નવા લેબર લો હેઠળ હડતાળના કેવા નિયમો તૈયાર કરાયા છે, આવો જાણીએ.


હડતાળ પહેલા આપવી પડશે નોટિસ

વા લેબર લો દ્વારા કેન્દ્ર સરકારે ‘હડતાળ’ને લઈને કેટલાક નવા નિયમો ઉમેર્યા છે. આ નિયમો હેઠળ હવેથી કર્મચારીઓએ હડતાળ પર ઉતરતા પહેલા નોટિસ આપવી પડશે. કર્મચારીઓ નોટિસ આપ્યા બાદ જ તાળાબંધી અને હડતાળ પર ઉતરી શકશે. સામૂહિક કેઝ્યુઅલ રજાનો પણ આ નિયમોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાથી અચાનક થનારી હડતાળ અટકાવી શકાશે તથા કાયદેસરની કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાશે.

નવા નિયમો મુજબ હવે હડતાળ પર ઉતરવા ઈચ્છતા કર્મચારીઓએ 14 દિવસ પહેલા નોટિસ આપવી પડશે. ત્યાર બાદ જ કર્મચારીઓ હડતાલ પર ઉતરી શકશે. જો કોઈ દિવસ 50 ટકાથી વધારે કર્મચારીઓ અચાનક રજા લેશે તો તેને પણ હડતાલની શ્રેણીમાં ગણવામાં આવશે. આ સિવાય, સમાધાન અથવા ટ્રિબ્યુનલની કાર્યવાહી દરમિયાન હડતાલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

માલિકોના હિતમાં નિયમો બદલાયા

હડતાળના નવા નિયમોને લઈને સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે, હડતાળના 14 દિવસ પહેલા નોટિસ આપવાના નિયમથી અચાનક થનારી હડતાળ અને તાળાબંધીને રોકી શકાશે તથા ઉત્પાદન પર થતી અસરને રોકી શકાશે. સાથોસાથ આ નિયમથી વિવાદનું જલ્દી યોગ્ય નિવારણ લાવવામાં પણ મદદ મળી રહેશે. આ નિયમથી એમ્પ્લોયર અને એમ્પ્લોઈ બંનેનું આર્થિક નુકસાન અટકાવી શકાશે. નવા નિયમથી હડતાળનો ઉપયોગ શિસ્તબદ્ધ રીતે થાય એવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હડતાળ સાથે જોડાયેલા નવા નિયમોનું કેટલાક મજૂર સંગઠનો વિરોધ કરી રહ્યા છે. મજૂર સંગઠનોના મત મુજબ માલિકોના હિતમાં હડતાળના નવા નિયમો બદલવામાં આવ્યા છે. હડતાળ માટે પહેલા નોટિસ આપવી પડશે. જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તો તે ગેરકાયદે ગણાશે તેમ જ મજૂર સંગઠનની માન્યતા પણ રદ્દ થઈ જશે.


Monday, May 12, 2025

જામજોધપુર સરકારી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


કોઇપણ પ્રકારના આકસ્મિક સંજોગો દરમિયાન લોહીની અછત ન સર્જાય તે હેતુથી યોજાયેલા કેમ્પમાં ૮૬ બોટલ રક્ત એકત્રિત કરાયું



જામનગર તા.૧૨ મે, જામનગર જીલ્લામાં કોઈ પણ પ્રકારના આકસ્મિક સંજોગો દરમિયાન લોહીની અછત ન સર્જાય તે હેતુથી વિવિધ જગ્યાઓ પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામજોધપુર સરકારી હોસ્પિટલ ખાતે તા.૧૧મેના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮૬ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આરોગ્ય સ્ટાફ, સામાજિક કાર્યકરો સહીત ગ્રામજનોએ ઉત્સાહ દર્શાવ્યો હતો. અને રક્તદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. 

જીલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.નુપુર પ્રસાદના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પમાં પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી ચીમનભાઈ સાપરિયા, અગ્રણીઓશ્રી રવિ શિહોરા, ભાગ્યેશ માનસુર્યા, હોસ્પિટલ સ્ટાફ અને ગ્રામજનોએ સહભાગી બની રક્તદાન કર્યું હતું. 


Sunday, May 11, 2025

ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ દ્વારા આવતીકાલ તા.12 મે થી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન


કોઇપણ પ્રકારના આકસ્મિક સંજોગો દરમિયાન લોહીની અછત ન સર્જાય તે માટે વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા જિલ્લા આરોગ્ય તંત્રની અપીલ



સવારે 9.00 થી સાંજે 5.00 કલાક દરમિયાન જી.જી.હોસ્પિટલ ખાતે આવેલ નવી મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર નાગરિકો રક્તદાન કરી શકશે


જામનગર, તા. 11 મે, સમગ્ર રાષ્ટ્રની સુખાકારી અને સેવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર જામનગર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં કોઈપણ પ્રકારના આકસ્મિક સંજોગો દરમિયાન જિલ્લામાં લોહીની અછત ન સર્જાય તે માટે વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ તેમજ હોસ્પિટલના સુપ્રિન્ટેનડેન્ટ ડો.દિપક તિવારી દ્વારા અપીલ કરવામાં આવી છે.


તેઓએ જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિમાં જિલ્લામાં લોહીની અછત ન સર્જાય તે સુનિશ્ચિત કરવા માટે ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જે કેમ્પનો આવતીકાલ તા.12/05/2025 થી ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે આવેલ નવી મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર શુભારંભ કરવામાં આવશે.જ્યાં નાગરિકો સવારે 9.00 થી સાંજે 5.00 કલાક સુધી રક્તદાન કરી શકશે.


તેઓએ વધુમાં જણાવ્યું કે રક્તદાન એ આપણી પવિત્ર ફરજ છે અને દરેક સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન કરી આ કાર્યમાં સહભાગી થવું જોઈએ. આપણું નાનું યોગદાન કોઈના માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે. તેમણે જામનગર જિલ્લાના તમામ નાગરિકોને આ કેમ્પમાં મોટી સંખ્યામાં જોડાઈને માનવતાના આ કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.


Friday, May 9, 2025

જામનગર જિલ્લાના બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવી લેવા તથા દરિયામાં ન જવા સૂચના

ફાઇલ ફોટો

જામનગર તા.૯ મે, દેશમાં તાજેતરમાં પ્રવર્તતી પરીસ્થિતીને ધ્યાને લેતાં નજીકના સમયગાળામાં દેશ વિરોધી તત્વો દ્વારા દરિયાઈ માર્ગ મારફત કે વિસ્તારોમાં દેશદ્રોહી પ્રવૃતિની સંભાવના રહેલ હોય, માછીમારો તથા માછીમારી બોટોની સલામતી હેતુસર માછીમારી બોટોને દરીયામાં માછીમારી કરવા જવા માટેના ટોકન ઇસ્યુ કરવાનુ બંધ કરવામાં આવ્યું છે.  તથા દરીયામાં રહેલ તમામ બોટોને તાત્કાલીક અસરથી પરત ફરવા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 


જેને લઈને જામનગર મત્સ્યોદ્યોગ નિયામકશ્રી દ્વારા જામનગર જિલ્લાના બોટ માલીકોને પરીસ્થીતીને ધ્યાને લઇ દરીયામાં રહેલ તમામ બોટોને તાત્કાલીક અસરથી પરત બેલાવી લેવા તથા ટોકન બંધ કરવામાં આવેલ હોવાથી  કોઇપણ માછીમારી બોટોએ દરીયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.


માછીમારોએ કોઇ શંકાશીલ કે ગેરકાનુની પ્રવૃત્તિ કરતા વ્યક્તિ અથવા રાષ્ટ્રિય સુરક્ષા વિરોધી કોઇપણ કાર્ય કરતા જણાય કે કોઈ શંકાશીલ બોટ/વસ્તુ/વ્યક્તિની મુવમેન્ટ ધ્યાને આવે તો તાત્કાલીક નજીકના ઇન્ડીયન નેવી/પોલીસ સ્ટેશન/કોસ્ટગાર્ડ/સુરક્ષા એજન્સીને જાણ કરવી.



જિલ્લાના તમામ મત્સ્યકેન્દ્રો પરના માછીમારો, બોટ/ હોડીઓના માલિકો, આગેવાનો, મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ/ એસોશીએશનોના હોદેદારોને ઉપરોકત સૂચનાઓનું ગંભીરતા પૂર્વક પાલન કરવા અંગેની સૂચના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી 

જામનગર દ્વારા આપવામાં આવી છે.

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...