જામનગરના પ્રદર્શન મેદાનમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ના પરિવારના યજમાનપદે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના ચોથા દિવસે લોક સાહિત્યકાર લાખણશીભાઈ ગઢવી તેમજ લોક સાહિત્યકાર અનુભા ગઢવી નો લોક ડાયરા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અન્ય મહેમાનોની સાથે ગુજરાત રાજ્યના અનેક ધારાસભ્યો મહેમાન બન્યા હતા. જેઓનું યજમાન પરિવાર દ્વારા સ્વાગત કરાયું હતું.
જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કથામૃતપાન કરાવવા માટે તેમજ લોકડાયરાના રાત્રી કાર્યક્રમો માણવા માટે સમગ્ર ગુજરાત રાજ્યના ધારાસભ્યોને નિમંત્રણ પાઠવાયું છે, અને ગુજરાતભરમાંથી અનેક ધારાસભ્યો- સંસદસભ્યો તેમજ અન્ય રાજકીય આગેવાનો, સામાજિક ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓ, સંતો -મહંતો, કથાનું રસપાન કરવા માટે જામનગરના આંગણે આવી રહ્યા છે. જેમાં ગઇરાત્રે ગુજરાત વિધાનસભાના પાંચ થી વધુ ધારાસભ્યો રાત્રિ કાર્યક્રમ નો લાભ લેવા માટે જામનગર આવી પહોંચ્યા હતા.
ક્ચ્છ માંડવી ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા, ટંકારા ના ધારાસભ્ય લલીતભાઈ કગથરા, તાલાલા ગીર ના ધારાસભ્ય ભગાભાઈ બારડ,સાવરકુંડલાના પ્રતાપભાઈ દુધાળા વગેરેનું યજમાન પરિવાર દ્વારા ખેસ પહેરાવી સ્મૃતિ ભેટ આપીને સન્માન કરાયું હતું.એટલુંજ માત્ર નહીં લોક સાહિત્યકાર લાખણશીભાઈ ગઢવી તેમજ અનુભા ગઢવી દ્વારા ચારણી સાહિત્ય તેમજ લોકગીતોની રમઝટ બોલાવાઈ હતી, જે દરમિયાન તેઓ દ્વારા નોટોનો વરસાદ પણ કરાયો હતો.
સાથોસાથ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાંથી અનેક સંતો મહંતોની પણ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ તેમજ લોક ડાયરા ના કાર્યક્રમમાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં જુનાગઢ અખાડા ના મહાદેવગીરી બાપુ, તેમજ રુદ્ર ગીરીબાપુ પણ જામનગર પધાર્યા હતા, અને રાત્રી કાર્યક્રમ સાથે જોડાયા હતા. જેઓના યજમાન પરિવાર દ્વારા આશીર્વાદ મેળવીને સન્માન કરાયું હતું.
લોકડાયરાના રાત્રિ કાર્યક્રમમાં ભાવનગરના રાજપૂત સમાજના અગ્રણી વાસુદેવ સિંહજી ગોહિલ, ઉપરાંત અનિરુદ્ધસિંહજી જાડેજા (રીબડા વાળા), ગુજરાત પ્રદેશના કોંગ્રેસ અગ્રણી યુસુફભાઈ ખફી, કોંગ્રેસના કોર્પોરેટર ધવલભાઇ નંદા, નોબત દૈનિકના મુખ્ય વ્યવસ્થાપક ચેતનભાઇ માધવાણી સહિતના મહાનુભાવો નું પણ યજમાન પરિવાર દ્વારા સન્માન કરાયું હતું.




No comments:
Post a Comment