Friday, March 21, 2025

 જામનગર જિલ્લાના વાહન માલિકો મોટરકાર માટેની તમામ જુની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે


જામનગર તા.૨૧ માર્ચ, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના તમામ વાહન માલિકો મોટરકાર માટેની જૂની સીરીઝના સિલ્વર અને ગોલ્ડન, આમ બંને પ્રકારના નંબરોના ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે.આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.૨૪-૦૩-૨૫ થી તા.૨૬-૦૩-૨૫ બપોરે ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે.આ ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.૨૬-૦૩-૨૫ થી તા.૨૮-૦૩-૨૫ બપોરે ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.૨૮-૦૩-૨૫ ના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહન માલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉક્ત વેબસાઇટ પર લોગ-ઈન કરીને વાહન ખરીદીના દિવસ-07 ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત જણાવેલા સમયગાળા દરમિયાન 1000ના ગુણાંકમાં વધારી શકશે. ઈ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.પસંદગીના નંબર મેળવેલા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઈન રીતે દિવસ-05માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહીં જેની સર્વે વાહન માલિકોને નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી,જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 આઈ.ટી.આઈ. કાલાવડ દ્વારા વેકેશન દરમિયાન સ્કિલ ડેવલોપમેન્ટ કેમ્પનું આયોજન

જામનગર તા.૨૧ માર્ચ, આઈ.ટી.આઈ.કાલાવડ દ્વારા વેકેશન દરમિયાન તા.૨૭-૦૩-૨૫ થી વિનામૂલ્યે જ્ઞાન સાથે ગમ્મત સમાન વેકેશન સ્કિલ ડેવલોપમેન્ટ કેમ્પનું આયોજન કરાયું છે.જેમાં ધો-૭ થી વધુ અભ્યાસ કરેલ કોઇપણ વિદ્યાર્થી, શિક્ષક અને યુવાનો તેમજ જિજ્ઞાસુઓ ભાગ લઈ શકશે. આ કેમ્પમાં ભાગ લેનારને વિવિધ ટેકનીકલ જ્ઞાન આપવામાં સાથે ઓન હેન્ડ પ્રેક્ટિકલ તાલીમ પણ અપાશે. કેમ્પમાં ભાગ લેનારને ઘરના ઉપકરણો પંખા, ફ્યુઝ, પાણીની મોટર વગેરેની જાતે રીપેરીંગ અંગેની પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવશે તેમજ કોમ્પ્યુટરમાં પેઈન્ટ, એક્સેલ અને પાવરપોઈન્ટ વગેરે શીખવવામાં આવશે. ઉપરાંત કાર અને બાઈકનુ એન્જીન તેમજ વેલ્ડીંગ ટ્રેક્ના મશીનોની પણ જાણકારી આપવામાં આવશે તેમ આચાર્યશ્રી, કાલાવડ આઈ.ટી.આઈ.ની યાદી જણાવાયું છે.

Sunday, March 16, 2025

કચ્છની કેસર કેરીનો સ્વાદ બનશે દોહ્યલો? કચ્છમાં ખરાબ વાતાવરણથી ખરી રહ્યો છે મોર-ખેડૂતોમાં ચિંતા

ભુજ: હવામાનમાં આવી રહેલા ચિંતાજનક ફેરફારોની અસર માનવ જીવન પર તો થઈ જ રહી છે પણ સાથે સાથે તેની અસર કચ્છની કેસર કેરી પર પણ જોવા મળી રહી છે. કચ્છની કેસર કેરીના ઉત્પાદનમાં સતત ત્રીજા વર્ષે પ્રવર્તી રહેલા વિષમ વાતાવરણના મારને કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાનું કેરી પકવતા ખેડૂતો જણાવી રહ્યા છે.

કેસર કેરીનું હબ ગણાતા કચ્છના ગઢશીશા પંથકમાં એક માસ પૂર્વે આંબા મોરથી લચી ઝૂલી રહ્યા હતા અને પાન કરતાં વૃક્ષમાં `મોર’ વધારે લાગવા માંડતાં ખેડૂતો અને આંબાના વેપારીઓએ સારા પાકની આશા સેવી હતી, પરંતુ અચાનક વાતાવરણની વિષમતા, વધારે પડતી ઝાકળ અને ઠંડી-ગરમીના કારણે બોર ફૂલ ખરી ગયાં છે અને ધારણા કરતાં 40 ટકા જેટલો પાક આવે તેવી શક્યતા દર્શાવી હતી.


કેસરનો ફાલ ઘટ્યો

કેસર કેરીની માવજતમાં મોટો ખર્ચ અને યોગ્ય આવક ન મળતી હોવાથી ખેડૂતો બાગાયતી પાકમાંથી રોકડિયા પાક તરફ વળી રહ્યા હોવાનું જણાવ્યું હતું. માંડવી તાલુકાના મઉ ગામના બટુકસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે સરેરાશ ફાલમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે જેનું મુખ્ય કારણ ઠંડી-ગરમી સાથેની ભેજયુક્ત વાતાવરણની વિષમતા. સામાન્ય રીતે કચ્છની કેસર કેરીને ઓક્ટોબર-નવેમ્બરમાં ફૂલ (મોર) બેસતાં હોય છે. એ જ રીતે, જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં મોર નીકળતાં હોય છે. આ વર્ષે આ ચારેય મહિના દરમિયાન ગરમી- ઠંડીના પરિણામે, ફ્લાવરીંગ ઓછું થતાં કેસરનો ફાલ ઘટ્યો છે.

સ્વચ્છ વાતાવરણ પર ભાવનો આધાર
ગત વર્ષ 2023ના જૂન મહિનામાં ત્રાટકેલ બિપરજોય વાવાઝોડું અને કમોસમી માવઠાના કારણે 80થી 90 ટકા જેટલું ઓછું ઉત્પાદન થયું હતું, ત્યારબાદ વર્ષ 2024માં કમોસમી માવઠાના માર અને આ વર્ષે પણ વિષમ વાતાવરણની રહેલી પરિસ્થિતિને કારણે ફ્લાવરીંગ ઓછું થવાના કારણે જે કેસર કેરી અત્યારે બચી છે તેની ગુણવતા અને ભાવનો મદાર સ્વચ્છ વાતાવરણ પર રહેલો છે.

કેસર કેરીના પાકને નુકસાન
50 વર્ષથી ખેતીકામ સાથે સંકળાયેલા ખેડૂત અગ્રણી હરજી વોરાએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં આ વર્ષે કેરીના સારા ઉત્પાદનની આશા હતી પણ ઠંડી-ગરમી વચ્ચે રહેલા તફાવતના કારણે અહીં મોટા ભાગના કેસર કેરીના પાકને નુકશાન પહોંચ્યું છે. બાગાયતમાં દાડમ અને ખારેકના પાકને પણ હાનિ પહોંચી છે.

મોટી માત્રામાં ખરી પડ્યો મોર
અન્ય ખેડૂત નાનજી પટેલે જણાવ્યું હતું કે, નવેમ્બર માસથી રહેલી વાતાવરણીય વિષમતાના કારણે ઘઉં, કેરી, એરંડો, શાકભાજી અને ઘાસચારામાં નુકસાની થઈ છે. કેરીના પાકમાં વાર્ષિક એક જ વખત ફાલ આવતો હોય છે, ત્યારે આ વર્ષે ફાલને જોઈને સારી કમાણીની આશા બંધાઈ હતી પરંતુ કેરીના બોરમાં કણી બંધાય એ અગાઉ તે મોટી માત્રામાં ખરી પડતાં આ તમામ માલ ખરાબ ગયો છે. ગઢશીશા ઉપરાંત દેવપર (ગઢ), દનણા,મઉં, રત્નાપર, વડવા, દુજાપર વિ.ગામોમાં પાકને નુકસાની થઈ હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

કાચી કેરીનો ભાવ વધ્યો
સરકાર તરફથી જો કોઈ વળતર નહિ મળે તો કચ્છમાં ખેતી અને પશુપાલન ભાંગી પડશે તેવો ભય ખેડૂત અગ્રણીએ વ્યક્ત કર્યો હતો. વળી, અથાણાં બનાવવાની સીઝન શરૂ થઇ રહી છે એ વચ્ચે અત્યારે શાકમાર્કેટમાં જોવા મળતી કાચી કેરીનો એક નંગ 50 થી 60 રૂપિયામાં વેંચાઈ રહ્યો છે. જેને લઇ ગૃહિણીઓએ કેરીનું અથાણું બનાવવાનું પણ માંડી વાળ્યું છે. કેરી ઉપરાંત કુદરતના કોપ વચ્ચે આ વર્ષે દાડમ, કમલમ, કચ્છી માવા તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત લાલ-પીળી ખારેકનો માલ પણ ઓછો ઉતરતાં બજારમાં મધ્યમવર્ગના ખિસ્સાંને પરવડે નહિ તેવા મોંઘા ભાવે વહેંચાશે.

Saturday, March 15, 2025

જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ


જન પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવા કલેકટરશ્રીનું લગત વિભાગોને સૂચન


જામનગર તા.૧૫ માર્ચ, જામનગર જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલ લોક પ્રશ્નો અને રજૂઆતો અંગે સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા લગત અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સૂચના અપાઈ હતી.



આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફીસ, શિક્ષણ વિભાગ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સિંચાઈ વિભાગ(પંચાયત),પી.જી.વી.સી.એલ., ડી.આઈ.એલ.આરને લગત પ્રશ્નો અંગેની ધારાસભ્યશ્રીની રજુઆતો અંગે હકારાત્મક દિશામાં ઉકેલ લાવી લોકોની માંગણીઓનો સંતોષકારક ઉકેલ આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે અને કુદરતી પાણીના નિકાલના માર્ગમાં આવતા સ્પોટ શોધી કાઢવા બાબતે તેમજ જીલ્લાના તમામ વિભાગોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર યોજનાકીય કામગીરીનો વ્યાપ વધારવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. 



આ બેઠકમાં જીલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું, ડી.સી.એફ.શ્રી ડો.સુનીલ દેરવાલ(આઈ.એફ.એસ.), અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન.ખેર, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ડી.એન.ઝાલા, પ્રાંત અધિકારીશ્રીઓ, લગત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. 

Friday, March 14, 2025

ગુજરાતમાં સરકારી કર્મચારીઓને અલ્ટીમેટમ, 31 માર્ચ સુધી મિલકતો જાહેર કરો નહીંતર…


રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે ગુરુવારે એક પરિપત્ર જાહેર કરીને પોતાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને 31 માર્ચ સુધીમાં સ્થાવર અને જંગમ મિલકતો સરકારના કર્મયોગી પોર્ટલ પર અપડેટ કરવાની સૂચના આપી છે. જો કોઈ અધિકારી કે કર્મચારી આમ કરવામાં નિષ્ફળ રહેશે તો તેમને આવતા એપ્રિલ મહિનામાં ચૂકવાતો માર્ચ મહિનાનો પગાર નહીં મળે. કર્મચારી અને અધિકારીઓએ 1 જાન્યુઆરી 2024 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન તેઓ અને તેમનો પરિવાર કેટલી સ્થાવર અને જંગમ મિલકત ધરાવે છે તે જાહેર કરવું પડશે

આ ઉપરાંત એમ પણ જણાવવામાં આવ્યું છે કે, 31 માર્ચ બાદ જ્યાં સુધી તેમની મિલકત જાહેર નહીં કરે ત્યાં સુધી તેમને પગાર ચૂકવવામાં નહીં આવે. આ પહેલા સરકારે 7 જાન્યુઆરીના રોજ પરિપત્ર બહાર પાડીને વર્ગ 3 કર્મચારીઓને જણાવ્યું હતું કે, તેમણે વર્ગ 1 અને વર્ગ 2ના ગેઝેટેડ ઓફિસરની જેમ પોતાના મિલકત પત્રક દર વર્ષે ભરવાના રહેશે. આ માટે દર વર્ષની 31 જાન્યુઆરી અંતિમ દિવસ રહેશે.

ઉલ્લેખનીય છે કે પહેલા માત્ર ગેઝેટેડ ઓફિસરોને જ આ વિગતો જાહેર કરવી પડતી હતી. પરંતુ ગત વર્ષે સરકારે જાહેરાનામું બહાર પાડીને નિયમમાં સુધારો કર્યો હતો. વર્ગ 3ના ફિક્સ પગારધારક સહિતના કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે.

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં હોળી ધૂળેટીના ફૂલડોલ ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા આવ્યા છે ત્યારે એક મોબાઇલ ચોર ગેંગને ઝડપી પાડતી દ્વારકા પોલીસ.
હોળી ધૂળેટીના પર્વે દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યો છે લાખો લોકો ઠાકોરજીના દર્શન કરવા માટે દેશ વિદેશથી દ્વારકા નગરી પધાર્યા છે ત્યારે અમુક લે ભાગુ તત્વો દ્વારા ગેર કાયદેસર ટોળકી રચીને તકનો લાભ લઇ ચોરીને અંજામ આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ગઈ કાલે દ્વારકા પોલીસને છુપી બાતમી મળી કે દ્વારકામાં એક ગેંગ સક્રિય થઈ છે જે અનેક મોબાઇલ તથા રોકડ રકમની લૂંટ કરી રહી છે આ દિશામાં દ્વારકા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી ત્યારે સ્ત્રી પુરુષો અને બાળકો મળી કુલ 28 શખ્સોની પોલીસ દ્વારા ધારોક્ડ કરવામાં આવી છે જ્યારે 12 મોબાઇલ ફોન, 22 હજાર રૂપિયા રોકડા અને બે ઑટો રીક્ષા સહિતનું કુલ ૩૨૪,૦૦૦ નું મુદ્દા માલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી.
ઝડપાયેલા આરોપીઓમાં જામ ખંભાળીયા, જામનગર, અને રાજકોટના રહેવાસી હોવાનું ખૂલ્યું છે.


Sunday, March 2, 2025

BSPમાં ઉથલપાથલ: માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના બધા પદો પરથી હટાવ્યા

બહુજન સમાજ પાર્ટી(BSP)માં હાલ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે રવિવારે બસપા સુપ્રીમો માયાવતી(BSP Chief Mayawati)એ એક મોટો નિર્ણય જાહેર કર્યો. તેમણે ભત્રીજા આકાશ આનંદ(Akash Anand)ને પાર્ટીના તમામ પદો પરથી દૂર કર્યા. આકાશના સસરા અશોક સિદ્ધાર્થને હટાવ્યા બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

માયાવતીએ ભાઈ આનંદ કુમાર અને રામજી ગૌતમને મોટી જવાબદારી સોંપી છે. બંનેને રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે માયાવતીએ કહ્યું કે હવે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી કોઈ ઉત્તરાધિકારી નહીં હોય. પક્ષ અને આંદોલનના હિતમાં સંબંધોનું કોઈ મહત્વ નથી.

મહત્વની બેઠક:

બસપા સુપ્રીમો માયાવતીએ આજે લખનઉમાં પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઘણા રાજ્યોના પાર્ટી વડાઓએ ભાગ લીધો હતો. પાર્ટીના પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને માયાવતીના ભાઈ આનંદ,પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા હાજર હતા. રાજ્યસભાના સાંસદ રામજી ગૌતમ પણ પાર્ટીની બેઠકમાં હાજર છે પરંતુ આકાશ આનંદે આ બેઠકમાં હાજરી આપી ન હતી.



ઉત્તરાખંડના ચમોલી હિમપ્રપાત માં 46 કામદારોને બચાવાયા, આઠના મોત…

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માણા ગામ નજીક શુક્રવારે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) કેમ્પ પર એક વિશાળ હિમપ્રપાત થયો. આ અકસ્માતમાં કુલ 54 કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા. જેમાંથી 46 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.પરંતુ 8 કામદારોના મોત થયા હતા. રવિવારે બચાવ ટીમે છેલ્લા ગુમ થયેલા મજૂરનો મૃતદેહ પણ શોધી કાઢ્યો. આ બચાવ ટીમ આધુનિક ટેકનોલોજી અને હવાઈ સહાયનો ઉપયોગ કરીને સતત શોધખોળમાં રોકાયેલી હતી.


માણા હિમપ્રપાતમાં કુલ 46 કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 8 કામદારોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં હિમાચલ પ્રદેશના મોહિન્દર પાલ અને જીતેન્દ્ર સિંહ ઉત્તર પ્રદેશના મનજીત યાદવ અને ઉત્તરાખંડના આલોક યાદવનો સમાવેશ થાય છે. આ બચાવ કામગીરીના ત્રીજા દિવસે બચાવ એજન્સીઓએ છેલ્લા ગુમ થયેલા મજૂરનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી અને ITRAના કર્મચારીઓની તરફેણમાં લેબરકોર્ટનો ચૂકાદો ભારતીય મજદૂર સંઘની સફળ રજૂઆત

ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીની હેઠળ ચાલતી સંસ્થા મહર્ષિ પતંજલી ઈન્સ્ટીટયુટ ફોર યોગ એન્ડ નેચરોપથીના તાબા હેઠળ સફાઈકામદાર તરીકે ફરજ બજાવતા શંકર લખુભાઈ રાઠોડ તથા તેમના પત્ની વસંતબેન શંકરભાઈ રાઠોડને સંસ્થા દ્વારા લઘુતમ વેતન ધારા મુજબના પગાર કે લાભો આપતા ન હોવાથી શંકરભાઈએ ભારતીય મઝદૂર સંઘમાં જોડાઈને લઘુતમ વેતન ધારાની અમલવારી કરાવવા ફરિયાદ કરેલ. જેથી સંસ્થાએ ઉપરોકત બંને કર્મચારીઓને નોકરીમાંથી ગેરકાયદેસર રીતે છૂટા કરી દીધેલ. જેથી તેઓએ નોકરીમાં પુનઃસ્થાપિત કરવા કેઈસ કરેલ.

મજુર અદાલત જામનગર સમક્ષ ચાલતા આ પુનઃસ્થાપિત કરવાના કેઈસોમાં સંસ્થા દ્વારા આ કર્મચારીઓને ટેમ્પરરી તરીકે રાખેલ, તેઓ ગેરહાજર રહેતા હતા, વધારાની કામગીરીની જરૂરીયાત ન હોવાથી છૂટા કરેલા, હવે આ સંસ્થા અસ્તિત્વમાં ન હોવાની રજૂઆત કરેલ. જયારે કામદાર તરફે રજૂઆત કરવામાં આવેલ કે આ કામદારો પાસેથી કાયમી પ્રકારનું સફાઈનું કામ લેવામાં આવતું, દરેક વર્ષમાં ૨૪૦ દિવસો કરતા વધુ દિવસો ફરજ બજાવેલ, લઘુતમ વેતન ધારાના લાભોની ફરિયાદ કરતા સંસ્થાએ રાગદ્વેષ પૂર્વક છૂટા કરેલા છે, તેમજ છૂટા કરતી વખતે નિયમ મુજબની કોઈ કાર્યવાહી કરેલ નથી. ૨૦૨૦માં આ સંસ્થા કેન્દ્ર સરકાર હસ્તક ITRAમાં ભેળવી દેવામાં આવેલ છે. તેમજ અગાઉની સંસ્થાના તમામ કર્મચારીઓને તેમાં સમાવી લીધેલ છે. જેથી હાલની સંસ્થા આ કર્મચારીઓને પુનઃસ્થાપિત કરવા જવાબદાર થાય છે.

નામ. મજુર અદાલત, જામનગરે બંને પક્ષેની રજૂઆતો, પૂરાવાઓ, દલીલો સાંભળ્યા બાદ કામદાર તરફેની યુનિયનની રજૂઆત ગ્રાહય રાખેલ અને હાલના કેઈસમાં સંકળાયેલ બંને કર્મચારીઓને નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો હુકમ કરેલ.

આ કેઈસમાં કામદારો તરફે ભારતીય મઝદૂર સંઘના શ્રી અરવિંદભાઈ વ્યાસ તથા પંકજભાઈ રાયચુરાએ વિવિધ તબકકે રજૂઆત કરેલ.

આ ઐતિહાસિક ચૂકાદાથી કામદારોમાં આનંદનું મોજું ફરી વળેલ છે.



Saturday, March 1, 2025

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ ખાતે આગમનઃમહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીના સ્વાગતમાં મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા શ્રી મુળુભાઈ બેરા, સાંસદશ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, જામનગરના મેયરશ્રી વિનોદભાઇ ખીમસૂરિયા, ધારાસભ્યોસર્વશ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા, શ્રી દિવ્યેશભાઇ અકબરી, ચીફ સેક્રેટરીશ્રી પંકજ જોશી, ડી.જી.પી.શ્રી વિકાસ સહાય, એરફોર્સના ગ્રુપ કેપ્ટનશ્રી સૌરભ પારિજાત,  કલેકટરશ્રી કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ, અગ્રણીઓશ્રી રમેશભાઇ મુંગરા અને ડૉ.વિમલભાઇ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 
લ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. અને આવતી કાલે સવારે વનતારાની મુલાકાત લેશે. ત્યાંથી તેઓ સોમનાથ જવા રવાના થશે. 


કરોડો રૂપિયાના સોસાયટીના કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ કરતા આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા (પટેલ)ની ડીફોલ્ટ બેઈલની અરજી નામંજૂર કરતી નામ અદાલત.

આ કેસની હકીકત એવી છે કે, જામનગર ખાતે જગદીશભાઈ રામોલીયા ધ્વારા જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે.માં એવી ફરીયાદ જાહેર કરવામાં આવેલ કે, જામનગરના રે.સ.નં. ૧૨૦૬ વાળી રહેણાંક હેતુ માટે બીનખેતી થયેલ પ્લોટ નં. ૪/૧ માં તેઓ રહેતા હતા અને ધર્મેશ રાણપરીયા પ્લોટ નં. ૨ અને ૩ માં વસવાટ કરતા હતા. તે દરમ્યાન મયુર ટાઉનશીપના કોમન પ્લોટમાં ફરતે પોતાના અંગત ઉપયોગમાં કમ્પાઉન્ડ વોલ કરી અંદર મકાન, શેડ, શૌચાલય, બાથરૂમ બનાવી નાખી અને કોમન પ્લોટ ફરતે વોલ તથા ગેઈટ નાખી સીસીટીવી કેમેરા લગાવી જગ્યામાં દબાણ કરવામાં આવતાં ફરીયાદીને હેરાન પરેશાન કરી ગેરકાયદેસર દબાણ કર્યા 
અંગેની ફરીયાદ કરવામાં આવેલ. જેમાં પોલીસ ધ્વારા આરોપી ધર્મેશ રાણપરીયાની તા. ૨૩-૧-૨૦૨૫ ના રોજ ધરપકડ કરવામાં આવેલ. ત્યારબાદ ફરીયાદ રદ કરાવવા આરોપી ધ્વારા નામ. ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરવામાં આવેલ. જે પીટીશન નામ. ગુજરાત હાઈકોર્ટ ધ્વારા રદ કરવામાં આવતાં આરોપી ધ્વારા નામ. સુપ્રિમ કોર્ટમાં પીટીશન ફાઈલ કરેલ. જે પીટીશનમાં સુપ્રિમ કોર્ટ ધ્વારા નો કર્સીવ સ્ટેપ્સનો હુકમ તા. ૧૭-૩-૨૦૨૫ સુધીનો કરવામાં આવેલ. જે બાદ આરોપી ધ્વારા જામનગરની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવેલ. જે નામ. કોર્ટ ધ્વારા રદ કરવામાં આવેલ. ત્યારબાદ આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા ધ્વારા પોલીસે સમયમર્યાદામાં તેમના વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ ના હોય જે બાબતે તેમને ડીફોલ્ટ બેઈલ મળવા જોઈએ, તે બાબતની ડીફોલ્ટ બેઈલ એપ્લીકેશન જામનગરની કોર્ટમાં દાખલ કરવામાં આવેલ. જે અરજીની સુનાવણી વખતે સરકાર તરફે એવી રજુઆત કરવામાં આવેલ કે, આરોપી ધ્વારા નામ. સુપ્રિમ કોર્ટમાં પીટીશન ફાઈલ કરી એફ.આઈ.આર. સંબંધે નો કર્સીવ સ્ટેપ્સનો હુકમ મેળવી નવો હુકમ સુપ્રિમ કોર્ટ ધ્વારા આપવામાં ન આવે ત્યાં સુધી થયાવત પરિસ્થિતિ રાખવાનો હુકમ કરેલ છે, તેમજ આરોપીના પત્ની મેઘનાબેન ધર્મેશભાઈ રાણપરીયાએ તા. ૧૭-૨-૨૦૨૫ ના તે બાબતની જાણ જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે.ના પી.આઈ.શ્રી ને લેખિતમાં જણાવેલું હોય તથા સુપ્રિમ કોર્ટના હુકમનું પાલન કરવા સંબંધે પોલીસ ધ્વારા ચાર્જશીટ ફાઈલ કરવામાં આવેલ ન હોય જે બાબતની તર્કબધ્ધ દલીલો તથા નામ. સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ સરકાર પક્ષે રજુ કરવામાં આવતાં હાલના આરોપીની ડીફોલ્ટ બેઈલની અરજી એડી.એન્ડ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ શ્રી વી.પી.અગ્રવાલ ધ્વારા નામંજુર કરવામાં આવેલ.

આ સમગ્ર કામમાં સરકાર પક્ષે મદદનીશ જીલ્લા સરકારી વકીલ શ્રી પિયુષ જે. પરમાર રોકાયા હતા.

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...